Friday 10 January 2014

કૃષિમેળો એગ્રીવિઝન ઇન્‍ડીયા-ર૦૧૪ -- શ્રી ખોડલધામ કાગવડ -- દેશનો સૌથી મોટો કૃષિમેળો







  કૃષિમેળો એગ્રીવિઝન ઇન્‍ડીયા-ર૦૧૪ -- શ્રી ખોડલધામ કાગવડ -- દેશનો સૌથી મોટો કૃષિમેળો

દેશ દુનિયામાં પટેલ સિવાય ભાગ્યે જ કોઈ એવી જ્ઞાતિ હશે જેણે ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો હોય. ગુજરાત સહિત દુનિયાભરમાં વસતા પટેલ ભાઈઓ માટે 21-1-2011નો દિવસ જાણે કે છાતી ફુલાવી દે તેવો હતો. કેમ કે આ દિવસે પટેલ જ્ઞાતિએ  જેતપુર તાલુકાના કાગવડ ખાતે ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાના ડંકો વગાડી દીધો હતો. 2011માં સમગ્ર લેઉવા પટેલ જ્ઞાતિની ધાર્મિક એકતા માટે બનાવાયેલા ખોડલધામના કાર્યક્રમમાં જણાવાયું હતું કે ખોડલધામ માત્ર ધાર્મિક પુરતુ મર્યાદિત નહી રહે કૃષિ આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે પણ આગળ વધશે.

લેઉવા પટેલ સમાજની એકતા, શિક્ષણના સ્તરની ગુણવત્તા વધારવા અને સમાજને ઉજાગર કરવા માટે જેતપુરના કાગવડ ખાતે ખોડલધામ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી હતી. પ્રતિવર્ષ ૨૧મી જાન્‍યુઆરીએ શ્રી ખોડલધામ કાગવડ ખાતે ભવ્‍ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આગામી તા. ૨૧ થી ૨૪ જાન્યુઆરી દરમ્યાન દેશનાં સૌથી મોટો કૃષિમેળો એગ્રી વિઝન ઇન્ડિયા ૨૦૧૪નું આયોજન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. ગુજરાત સહિત ભારતભરના ખેડૂતોમાં ક્રાંતી લાવવા માટે આયોજન ખોડલધામ ખાતે આ આયોજન કરવામાં આવ્યું છે. કાગવડા ખાતે યોજાનાર આ મેળામાં તમામ સમાજને લાભ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. દેશ વિદેશના અનેક ખેડૂતો ખોડલધામના કૃષિ મેળામાં પોતાની વિચારો રજૂ કરશે જેથી હવે કાગવડનું નામ ટૂંક સમયમાં વિદેશમાં છવાઈ જાય તો નવાઈ નહીં.




ખોડલધામ - કાગવડ ખાતે યોજાનાર આ ભવ્‍ય મેળામાં રાષ્‍ટ્રીય તથા આંતરરાષ્‍ટ્રીય કૃષિ કંપનીઓ, કૃષિ સંસ્‍થાઓ, કૃષિ નિષ્‍ણાંતો, કૃષિ યુનિવર્સિટીઓ, સરકારી કૃષિ વિભાગો, કૃષિ સંશોધકો તથા પ્રગતિશીલ ખેડૂતો ભાગ લેશે. આ ભવ્‍ય મેળામાં વડાપ્રધાન, રાજ્‍યના મુખ્‍યમંત્રી તેમજ દેશના તમામ રાજ્‍યોના કૃષિ મંત્રીઓ અને સમાજના દિગ્‍ગજો અને મહાનુભાવોને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આઝાદી બાદ પ્રથમ પંચવર્ષીય યોજનામાં સરદારશ્રીએ કૃષિને પ્રાથમિકતા આપી હતી અને ‘લેબ ટુ લેન્‍ડ' પ્રોજેકટનું સૂચન કરેલ એટલે કે કૃષિક્ષેત્રે થઇ રહેલા વૈજ્ઞાનિક સંશોધનો અને તેના વ્‍યાવહારીક ઉપયોગનું જ્ઞાન ખેડૂતો સુધી પહોંચવું જોઇએ. આ દિશામાં આગામી કૃષિ મેળો તૈયારી જોતા વિક્રમજનક બની રહેશે તેમ લાગી રહ્યું છે.

મેળામાં કૃષિ જ્ઞાન વિજ્ઞાનના ખજાના સમાન કુલ ૭૦૦ જેટલાં સ્ટોલ હશે. અને કૃષિ ક્ષેત્રે ક્રાંતિ લાવનારા ઈઝરાયેલ, નેધરલેન્ડ, હોલેન્ડ જેવા દેશની કંપનીઓ એમની ખાસ પ્રોડકટો પ્રસ્તુત કરશે. ચાર દિવસ દરમિયાન વિવિધ વિષયોને આવરી લેતાં ૩૦ જેટલા સેમિનાર યોજાશે. ખોડલધામ ખાતે યોજાનાર આ મેળો કુલ ૧ લાખ પ હજાર ચોરસ મીટરમાં ફેલાયેલો હશે. જેમાં કૃષિના આગવા સાધનો, પ્રોડકટ ઉત્પાદન કરતી કંપનીઓના સ્ટોલ હશે. કુલ સ્ટોલ્સમાંથી ૬૦ ટકા સ્ટોલ તો ગુજરાતની બહારની કંપનીના છે, આ સિવાય ૨૪થી વધારે કંપનીઓ ઈઝરાયેલ, નેધરલેન્ડ, હોલેન્ડ જેવા દેશોની છે.

કૃષિ મેળામાં ખેડૂતો માટે ઈલેકટ્રીક સાધનો, પ્રાણી સંચાલિત સાધનો, પિયતની નવી નવી પદ્ધતિ, બાયોટેકનોલોજી, વાવણીની નવી રીતો, કાપણીની નવી રીતો, કેમિકલસ્પ્રેના અલગ અલગ આગવા સાધનો, જંગલને લગતી મશીનરી, હાર્વેસ્ટીંગ મશીન, ઈરીગેશન ટેકનોલોજી , શાકભાજીની પદ્ધતિઓ, વેટરનરી સાધનો સહિતની વસ્તુઓ હશે. આ ઉપરાંત એગ્રો કેમિકલ્સ, બાયો પેસ્ટીસાઈડઝ, ફર્ટીલાઈઝર્સ, હાઈબ્રીડ ગ્રેઈન એન્ડ કોર્પસ, ઈન્સકેટીસાઇડઝ, ન્યુટરીએન્ટસ, બી વાવવાની જાતજાતની ટેકનોલોજી પણ હશે. જેનું સ્થળ પર નિદર્શન કરાવવામાં આવશે. કૃષિમેળામાં બે સેમિનાર હોલ ઉભા કરવામાં આવશે. નીત નવા અખતરા કરી સફળતા હાંસલ કરનારા ખેડૂતોને ભેગા કરી સ્થગળ પર ખોડલધામ કૃષિ પંચાયત યોજાશે. જેમાં પ્રગતિશીલ ખેડૂતો પરસ્પર એકાબીજાના અનુભવો વર્ણવશે.



આકર્ષક થીમ બેઇઝ એન્‍ટ્રી ગેઇટ, બગીચો, ફાઉન્‍ટેન, રેસ્‍ટહાઉસ, વીઆઇપી લોન્‍સ, ફુડ કોર્ટ, ચાર દિવસના કૃષિ મેળા દરમિયાન રોજે રોજે પ્રગતિશીલ ખેડૂતોનું સન્‍માન, સેમીનારો, નિષ્‍ણાંતોના પ્રવચનો તથા રાત્રે સાંસ્‍કૃતિક કાર્યક્રમો યોજાશે. સ્‍પોન્‍સર્સ માટે ખાસ પ્‍લેટીનમ, ગોલ્‍ડન, સીલ્‍વર ડોમ મળીને કુલ ૫૨૧ સ્‍ટોલ આ મેળા દરમિયાન ઉભા કરાશે. ગ્રીનહાઉસ તથા નેટહાઉસ મોડલ તથા ટ્રેકટર એરીયા માટે વિશેષ જગ્‍યા ફાળવવામાં આવશે.

No comments:

Post a Comment